ગુજરાત: વલસાડ
વલસાડની ખાનગી હોસ્પિટલોમાં છેલ્લા એકાદ અઠવાડિયાથી હિપેટાઈસીસ (કમળા)ના રોજ સરેરાશ 3થી4 દર્દીઓ આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. લગભગ છેલ્લા એક અઠવાડિયામાં ત્રણ દર્દીઓ કમળો થવાથી મુત્યું થયું હોવાનું જાણવા મળે છે, શહેરના અનેક વિસ્તારોમાંથી છૂટાછવાયા કેસો આવી રહ્યા હોવાથી નગરપાલિકા દ્વારા પૂરું પડાતું પીવાનું પાણી દૂષિત હોવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.
વલસાડની કસ્તુરબા હોસ્પીટલમાં જુલાઈ માસથી હિપેટાઈસીસ (કમળા)ના રોજ સરેરાશ 3 દર્દીઓ આવી રહ્યા છે. શહેરની જુદી-જુદી હોસ્પિટલોમાં તપાસ કરતા તમામ ખાનગી હોસ્પિટલોમાં કમળાના દર્દીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા હોવાનું તબીબીઓએ જણાવ્યું હતું.
શહેરના ફિઝિશિયન ડૉ. સમીરભાઇ દેસાઇએ જણાવ્યું કે છેલ્લા એક અઠવાડિયાથી તેમને ત્યાં હિપેટાઈસીસ (કમળા)ના રોજ સરેરાશ એકથી બે દર્દીઓ આવી રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં પહેલીવાર એક જ અઠવાડિયામાં કમળાના આટલા બધા દર્દીઓ જોવા મળ્યા છે. અન્ય ફિઝિશિયન ડૉ. દેવાંગભાઇ દેસાઇએ જણાવ્યું કે હાલ રોજના કમળાના એકાદ-બે કેસો આવી રહ્યા છે. જો કે એમાં હિપેટાઇટીસ-એ અને ઇ વધુ છે. જ્યારે હિપેટાઇટીસ-બી અને સી ના કેસો નથી આવી રહ્યા.
વલસાડ નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ હોસ્પિટલના ડૉ. રોહન પટેલે જણાવ્યું કે, ગત મહિનાથી હિપેટાઈસીસ (કમળા)ના કેસોમાં વધારો થયો છે. છેલ્લા બે મહિનામાં એકલા મ્યુનિસિપલ હોસ્પિટલમાં કમળાના ૮૨ કેસો નોંધાયા છે તેમજ આ વર્ષે કમળાના કેસો સૌથી વધુ હોવાનું તેમણે જણાવ્યું હતું.
કમળથી બચવા શું કરવું જોઈએ?
ડૉ. સમીરભાઇ દેસાઇએ જણાવ્યું કે, દૂષિત પાણી પીવાથી અથવા વાસી અને ઠંડો ખોરાક ખાવાથી કમળો થવાની શક્યતા વધુ હોય છે. તેથી પાણીનો ઉકાળીનો પીવો અને બને ત્યાં સુધી બહારનો ખોરાક લેવાનું ટાળો. આડેધડ દવા લેવાને બદલે તબીબ પાસે સમયસર નિદાન કરાવીને યોગ્ય સારવાર કરાવો. ડૉ. દેવાંગભાઇ દેસાઇએ પણ આ જ પ્રકારની સલાહ આપવાની સાથે પોતાના ઘરની આસપાસ સ્વચ્છતા જાળવવા તેમજ રસોઇના સ્થાને પણ સફાઇ રાખવા જણાવ્યું હતું.
જિલ્લા આરોગ્ય વિભાગના સૂત્રના જણાવ્યાનુસાર આ વખતે ચોમાસામાં સતત વરસાદી માહોલ વચ્ચે પૂર આવવાને કારણે કમળાના કેસો વધ્યા હોવાનું જણાય છે. તબીબોએ બહાર લારીઓ પર મળતી પાણીપૂરી સહિતની ખાદ્ય ચીજવસ્તુઓ કે જેમાં પાણીનો ઉપયોગ થાય છે, તે હાલ ન આરોગવા સલાહ આપી છે. પાણીપૂરીમાં ઉપયોગમાં લેવાતું પાણી દૂષિત હોવાની શક્યતા છે.