શરદ પૂર્ણિમા એ હિંદુ ધર્મમાં એક મહત્વપૂર્ણ તિથિ છે, જે અશ્વિન મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. તેને કોજાગરી પૂર્ણિમા અથવા ‘રાસ પૂર્ણિમા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. શરદ પૂર્ણિમાની રાત્રે દેવી લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ રાત્રે દેવી લક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરે છે અને આ દિવસે પૂજા કરનારની મનોકામનાઓ પૂર્ણ થાય છે.
આ દિવસે ચંદ્ર તેના પૂર્ણ સ્વરૂપમાં હોય છે અને તેના કિરણોમાં વિશેષ ઔષધીય ગુણ હોય છે. એવું માનવામાં આવે છે કે શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રના કિરણો અમૃત સમાન હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે.
શરદ પૂર્ણિમા તિથિ
પંચાંગ અનુસાર આસો મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ 16 ઓક્ટોબર, બુધવારે રાત્રે 08:41 કલાકે શરૂ થશે. તે બીજા દિવસે ગુરુવાર, 17 ઓક્ટોબરે સાંજે 04:53 કલાકે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં શરદ પૂર્ણિમાનો તહેવાર 16 ઓક્ટોબરે ઉજવવામાં આવશે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વર્ષે શરદ પૂર્ણિમાના દિવસે ચાંદનીમાં ખીર રાખવાનો સમય રાત્રે 8.40 વાગ્યાનો છે. જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે અને તેને દેવી લક્ષ્મીનો પ્રસાદ માનવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા દરમિયાન ખીર ચઢાવવામાં આવે છે.
શરદ પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મી અને ચંદ્રની પૂજાનું વિશેષ મહત્વ છે. આ દિવસે દેવી લક્ષ્મી, ચંદ્ર અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ધન, સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.