હું સામેથી સરેન્ડર થવા આવ્યો છું. બધાને કહેવા માગું છું કે હું અને મારો પરિવાર છેલ્લા શ્વાસ સુધી લડતો રહીશ: ચૈતર વસાવા

નર્મદા

ગુજરાત રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા છે. નર્મદા એડીશનલ સેશન્સ કોર્ટે વન વિભાગના કર્મચારીઓ પર થયેલા હુમલા અને ધમકી આપવાના ચકચારી કેસમાં આ મહત્વનો ચુકાદો આપ્યો છે.

MLA ચૈતર વસાવા અને તેમની પત્ની શકુંતલા વસાવા સહિત તમામ નવ આરોપીને 7 વર્ષની કેદ અને રૂ.25 હજારનોનો દંડ કરવામાં આવ્યો છે. આ નવ આરોપીઓમાં 4 મહિલા અને 5 પુરૂષ આરોપી સામેલ છે. ધારાસભ્ય ચૈતર વસાવાને અલગ અલગ ગુનાઓમાં સજા ફટકારવામાં આવતાં ભરૂચ નર્મદાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ચૈતર વસાવા અને તેમની પત્નીને વડોદરાની મધ્યસ્થ જેલ ખાતે લાવવામાં આવ્યા છે. બીજી તરફ ચૈતર વસાવા ધારાસભ્યપદ પણ ગુમાવી શકે છે.

2 વર્ષથી વધુ સજા બાદ ધારાસભ્ય પદ ગણાય જ નહીં ચૈતર વસાવાને 7 વર્ષની સજા થયા બાદ વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીએ જણાવ્યું કે, દેશમાં ધારાસભ્યો અને સાંસદો માટે આચારસંહિતા તથા કાયદાકીય નિયમો સ્પષ્ટ રીતે નક્કી કરાયેલા છે અને કોર્ટના ચુકાદાને સર્વોપરી માનવામાં આવે છે. જો કોઈ ધારાસભ્યને બે વર્ષથી વધુની સજા ફટકારવામાં આવે તો તે ધારાસભ્ય તરીકે ગણાશે નહીં અને તેની બેઠક ખાલી ગણાશે. આ મામલે લીગલ વિભાગ તરફથી વિધાનસભા અધ્યક્ષને દરખાસ્ત મોકલવામાં આવશે, ત્યારબાદ બેઠક ખાલી કરવાની કાયદાકીય પ્રક્રિયા હાથ ધરાશે.

તેમણે વધુમાં જણાવ્યું કે, જ્યાં સુધી ઉચ્ચ અદાલત તરફથી સજા પર સ્ટે મળતો નથી ત્યાં સુધી બેઠક ખાલી ગણાશે અને સંબંધિત કાર્યવાહી ચાલુ રહેશે. જો ઉપલી કોર્ટ સજા પર સ્ટે આપે તો જ સંબંધિત વ્યક્તિને ફરી ધારાસભ્ય તરીકે માન્યતા મળી શકે છે. પૂર્ણેશ મોદીએ ભારપૂર્વક કહ્યું કે, કોર્ટનો હુકમ સર્વોપરી છે અને તેના આધારે જ તમામ નિર્ણય લેવામાં આવે છે.
શું છે સમગ્ર મામલો?

આ સમગ્ર મામલે સરકારી વકીલ વંદના ભટ્ટે જણાવ્યું હતું કે, વર્ષ 2023માં ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓએ વન વિભાગની જમીન પરથી ગેરકાયદેસર વાવેતર દૂર કર્યું હતું. આ બાબતને લઈ ચૈતર વસાવાએ તે કર્મચારીઓને પોતાના ઘરે બોલાવીને ધાક-ધમકી આપી, હવામાં ગોળીબાર કર્યો અને ધોલધપાટ કરી હતી.

‘અધિકારીએ ઓનલાઇન રૂપિયા ટ્રાન્સફર કર્યા તે પુરાવા મળી આવ્યા’
તેના બીજા જ દિવસે ચૈતર વસાવાના PA અને અન્ય લોકોએ કર્મચારીઓ પાસે  ₹30,000-₹30,000 મળીને કુલ ₹60,000ની ખંડણી માંગી હતી. ફોરેસ્ટ કર્મચારીઓ પાસે પૈસા ન હોવાથી તેમણે ATMમાંથી પૈસા ઉપાડવાનો પ્રયત્ન કર્યો પણ પૈસા ન નીકળતાં તેમણે પોતાના ઉપરી અધિકારીને ફોન કર્યો હતો અને અધિકારીએ ઓનલાઇન 30,000-30,000 ટ્રાન્સફર કર્યા હતા, જે પુરાવા તરીકે મળી આવ્યા છે.

4 મહિલા સહિત કુલ 9 આરોપીને દોષી જાહેર

આ કેસની સુનાવણી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજની કોર્ટમાં ચાલી હતી, જેમાં તમામ સરકારી સાક્ષીઓ અને મજબૂત પુરાવાઓને આધારે કોર્ટે આજે (23 જૂને) 5 પુરુષ અને 4 મહિલા સહિત કુલ 9 આરોપીને દોષી જાહેર કરીને 7 વર્ષની કેદની સજા તથા ₹25,000નો દંડ ફટકાર્યો છે. ઉલ્લેખનીય છે કે, આરોપીઓ પૈકી એક સગર્ભા મહિલા છે અને એક મહિલાને નવજાત બાળક હોવાથી, બાળકને જેલમાં સાથે રાખવાની અરજી તેમના વકીલ દ્વારા કરવામાં આવી છે.

વકીલે એ પણ સ્પષ્ટ કર્યું કે, આરોપીઓ અગાઉ એક કેસમાં એક વર્ષના પ્રોબેશન પિરિયડ પર મુક્ત થયા હતા અને તે પિરિયડ પૂરો થતાં જ ફરીથી ગુનાઓ આચર્યા હોવાથી કોર્ટે આ તમામ બાબતોને ધ્યાને રાખીને આ સજા ફટકારી છે. વન વિભાગના કર્મચારીઓ પર હુમલો કરવા, સરકારી ફરજમાં રૂકાવટ લાવવા અને હવામાં ફાયરિંગ કરી ધમકાવવાના ગંભીર આક્ષેપો હેઠળ આ ગુનો નોંધાયો હતો.

બીજી તરફ ચૈતર વસાવાના વકીલ એસ. કે. જોષીએ જણાવ્યું કે, આ ખોટો કેસ કર્યો છે, સરકારે એમની રાજકીય કારકિર્દી ખતમ કરવા માટે ઊભો કરેલો કેસ છે. એ બધાના પુરાવાનું ડિસ્કશન કર્યું. આગળની કાર્યવાહીમાં અપીલ કરવામાં આવશે અને જામીન પર છોડવા માટે અરજી કરવામાં આવશે. રાજકીય કિન્નાખોરી રાખીને ખોટો કેસ ઊભો કરેલો છે.

ચૈતર વસાવાને સજા થયા બાદ રાજનેતાઓની પ્રતિક્રિયા

‘ED પાર્ટી’એ ષડયંત્ર રચીને તેમના પર ખોટો કેસ કર્યો: કેજરીવાલ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, ચૈતર વસાવાને આજે કોર્ટે સાત વર્ષની જેલની સજા સંભળાવી દીધી છે. ચૈતર વસાવા ગુજરાતના આદિવાસી સમાજના ખૂબ મોટા નેતા છે. ED પાર્ટી, જે આદિવાસી સમાજ માટે પૈસા આવે છે, તે પૈસાને આદિવાસીઓ પર ખર્ચ કરવાને બદલે તે બધા પૈસાની ચોરી કરી લે છે. આની સામે ચૈતર વસાવાએ કેટલીય વાર અવાજ ઉઠાવ્યો છે.

ED પાર્ટીએ છેલ્લા કેટલાક મહિનાઓમાં ષડયંત્ર રચીને અને તેમના પર ખોટો કેસ કરીને તેમને સાત વર્ષની જેલની સજા સંભળાવી દીધી. ED પાર્ટીને ખબર હતી કે જ્યાં સુધી આ વિસ્તારમાંથી ચૈતર વસાવા છે, ત્યાં સુધી તેઓ ED પાર્ટીના ધારાસભ્યને જીતાડી શકે તેમ નથી. હું ED પાર્ટીને ચેતવણી આપવા માંગુ છું કે, લોકશાહીની અંદર આ રીતે ગુંડાગર્દી ચાલતી નથી, ચાલે છે તો જનતાની જ.
જેટલો તમે ચૈતર વસાવાને દબાવવાનો પ્રયત્ન કરશો, તેઓ એટલા જ મોટા નેતા બનીને ઉભરશે.

ચૈતર વસાવાએ આવા 19 જેટલા ગંભીર ગુનાઓ આચર્યાઃ ધવલ પટેલ વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલે જણાવ્યું કે, ચૈતર વસાવાનો આ પહેલો ગુનો નથી. ચૈતર વસાવાએ આવા 19 જેટલા ગંભીર ગુનાઓ આચર્યા હતા. રાઇટિંગ હોય, મારામારી હોય, ખંડણી હોય કે હમલો હોય એવા અનેક ગુનાઓ ચૈતર વસાવાએ આચર્યા છે. એ બતાવે છે કે એમની મેન્ટાલિટી જ પૂરેપૂરી ગુનાહિત કૃત્ય કરવાની છે.

વધુમાં જણાવ્યું કે, ચૈતર વસાવાએ વનકર્મીને ઘરે બોલાવીને હુમલો કર્યો છે એની પ્રેરણા કે દુમ્પ્રેરણા એમના જ પાર્ટીના આકા અરવિંદ કેજરીવાલમાંથી તેઓને મળી છે કારણ કે અરવિંદ કેજરીવાલ પણ જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે દિલ્હીના મુખ્ય સચિવને ઘરમાં બોલાવીને ઢોર માર માર્યો હતો, એ જ રીતના ચૈતર વસાવાએ પણ આ ગુનાને અંજામ 2023માં એમના ઘરે આપ્યો છે. ગોપાલ ઈટાલિયા, ચૈતર વસાવા કે આમ આદમી પાર્ટીને મારે કહેવું છે કે, આ ગાંધી બાપુનું ગુજરાત છે. અહીંયા કોઈપણ આ રીતની ‘ટુકડે ટુકડે ગેંગ’ની રાજનીતિ તમે ચલાવશો, તો આ રીતની રાજનીતિ ગુજરાતમાં ચાલવા દેવામાં આવશે નહીં.

ચૈતર વસાવા સામે ખોટા ફરિયાદીઓ ઉભા કરીને કેસ કરવામાં આવ્યોઃ ઈટાલિયા ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું કે, ગુજરાતમાં વર્ષોથી આદિવાસી સમાજ સાથે અન્યાય થતો રહ્યો છે. આવા સમયમાં ચૈતર વસાવા આદિવાસી સમાજ માટે આશાના કિરણ તરીકે ઉભરી આવ્યા હતા. ચૈતર વસાવાએ આદિવાસી સમાજના નાના-મોટા પ્રશ્નો માટે સતત લડત આપી છે અને આદિવાસી સમાજને ન્યાય અપાવવાનું કામ કરતા આવ્યાં છે. ભાજપે તેમનું મનોબળ તોડવા માટે અનેક પ્રયાસો કર્યાં હતા પણ ચૈતર વસાવા સરકાર સામે ઝુક્યા નહોતા.

ગોપાલ ઈટાલિયાએ આરોપ લગાવ્યો કે, ભાજપે સરકારી મશિનરીનો ખોટો ઉપયોગ કર્યો હતો. ચૈતર વસાવા સામે ખોટા ફરિયાદીઓ ઉભા કરીને કેસ કરવામાં આવ્યા અને તેમને જેલમાં પણ મોકલવામાં આવ્યા. જ્યાં પણ તેઓને પક્ષ પલ્ટો કરવા માટે કહેવામાં આવ્યું. તેમ છતાં આદિવાસી સમાજનો વિશ્વાસ તેમની સાથે જ રહ્યો હતો. ચૈતર વસાવાના પ્રયાસોથી જિલ્લા પંચાયતની રચના શક્ય બની હતી અને ત્યારબાદ અચાનક તેમને સજા સંભળાવવામાં આવી.

ગોપાલ ઈટાલિયાએ પ્રશ્ન ઉઠાવ્યો કે, “હજારો ગુનેગારો હોવા છતાં માત્ર ચૈતર વસાવાને જ સજા કેમ?”

આદિવાસી સમાજમાં આ નિર્ણયને લઈને ભારે નારાજગી અને દુખની લાગણી છે અને ભાજપ દ્વારા આદિવાસી સમાજને દબાવવાના પ્રયાસોનો જવાબ લોકશાહી અને કાનૂની માર્ગે આપવામાં આવશે.

સરેન્ડર સમયે ચૈતર વસાવાએ શું કહ્યું હતું?

હું સામેથી સરેન્ડર થવા આવ્યો છું. બધાને કહેવા માગું છું કે, હું અને મારો પરિવાર આદિવાસી સમાજ, નવયુવાનો, શિક્ષિતો અને પીડિતોને ન્યાય અપાવવા માટે છેલ્લા શ્વાસ સુધી લડતો રહીશ. બંધારણથી ચાલતી દેશની ન્યાયપ્રણાલી આ સંદર્ભે ન્યાય આપશે એનો મને વિશ્વાસ છે. વનકર્મીઓને ધમકાવવા અને હવામાં ફાયરિંગ કરવાના કેસમાં લાંબા સમયથી ફરાર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઘટનાના 1 મહિના અને 9 દિવસ બાદ ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા.

સંધર્ભ: દિવ્ય ભાસ્કર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *